મિલન
રાધાને શ્યામ મળ્યા?
રાધાને જ પૂછવું પડે...
મીરાં શ્યામને પામ્યા?
જવાબ, મીરાં જ આપી શકે...
નરસૈંયાને નહોતો સંદેહ
કાનજી મામેરું પૂરે એનો...
ભરતને મન ચાખડી
અને
શબરીને મન બોરનો ભાવ
બીજાં કોઈ શું સમજી શકે?
શ્રદ્ધાની ચુંદડી ઓઢવી પડે,
રિવાજોની રીતિ
મનનાં વૃંદાવનમાં
ક્યાંથી કામ લાગે?
લોક કરે વાત્યું જરી વારમાં
જો,
થાય લગીર રીતથી જૂદું,
પણ
હ્રદયમાં સ્થપાયેલ ભાવ
મંદીરની મૂરત ના બદલી શકે!
હૈયે હોય, મિલનની આરતી
તો અંતરને અંતર
ક્યાંથી પજવી શકે?
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment